Tuesday, 21 January 2014

આપના કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, તિવારીનો બોલાવ્યો હુરિયો



આપના કાર્યકરો-પોલીસ વચ્ચે ઝપાઝપી, તિવારીનો બોલાવ્યો હુરિયો

દિલ્હી પોલીસના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કેજરીવાલ કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલયની બહાર ધરણા દીધા છે. સોમવારે સવારે કેજરીવાલ દિલ્હીથી સચિવાલય માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલના કાફલાને રેલભવન પાસે અટકાવવામાં આવ્યો હતો.પોલીસે કેજરીવાલને ગૃહપ્રધાનના કાર્યાલય તરફ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.  દિલ્હી પોલીસે કેજરીવાલને જંતરમંતર ખાતે દેખાવ કરવા કહ્યું છે. જો કે,કેજરીવાલે રેલભવન પાસે જ ધરણા શરૂ કરી દીધા હતા. 
 
આપના પીડબલ્યુડી પ્રધાન કેજરીવાલની સાથે જ તેમની બ્લુ કલરની વેગન-આર કારમાં હતા. પોલીસે જ્યારે કારને અટકાવી, ત્યારે મનિષ સિસૌદિયા કારની ડ્રાઈવર સીટમાંથી બહાર નીકળ્યા હતા અને એલાન કર્યું હતું કે, જ્યાં દિલ્હી પોલીસે તેમને અટકાવ્યા છે, ત્યાં જ બેસીને તેઓ ધરણા હાથ ધરશે. દિલ્હી પોલીસના સુરક્ષા માટે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, ગમે તે સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં આવશે અને તેને કથળવા દેવામાં નહીં આવે.
કેજરીવાલે કહ્યું હતું કે, રસ્તા ઉપર અને વિધાનગૃહ તથા સચિવલયમાં લડાઈ લડવાનો સમય આવી ગયો છે. જો 26મી જાન્યુઆરીના કોઈ અવ્યવસ્થા ન થાય, તો તેના માટે ગૃહપ્રધાન, વડાપ્રધાન વગેરે જવાબદાર છે. જો એક મુખ્યપ્રધાનના કહેવાથી શિંદે ચાર પોલીસવાળાઓને સસ્પેન્ડ ન કરી શકતા હોય તો આ પ્રકારના ગણતંત્રનો કોઈ મતલબ નથી. થોડા સમયમાં અનેક સમર્થકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમના હાથમાં ઝાડુ અને પોસ્ટર્સ હતા.
આપના કાર્યકરોએ મનિષ તિવારીનો હુરિયો બોલાવ્યો 
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણપ્રધાન કેન્દ્રીય શ્રમપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. માર્ગમાં આપના દેખાવકારોને કારણે તિવારીએ ગાડી છોડી દેવી પડી હતી અને ચાલીને જ નીકળવું પડ્યું હતું. દરમિયાન આપના કાર્યકરોએ મનિષ તિવારીને ઘેર્યા હતા. તિવારીને પોલીસે કોર્ડન કરી લીધા હતા અને સલામત રીતે શ્રમશક્તિ ભવન સુધી લઈ ગયા હતા. દરમિયાન તિવારીએ કહ્યું હતું કે, દિલ્હી સરકારમાં ભલે કામકાજ ઠપ થઈ ગયા હોય, પરંતુ અન્ય સરકારોમાં કામકાજ ચાલુ છે. ઈરાદપૂર્વક મેં એ રસ્તો પસંદ  કર્યો ન હતો, પરંતુ જો તેમને એવું લાગતું હોય તો ભલે લાગે. દરમિયાન આપના કાર્યકરોએ મનિષ તિવારી વિરૂદ્ધ નારેબાજી કરી હતી. 
 
આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી બળોના જવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સાવચેતીના પગલારૂપે રેપીડ એક્શન ફોર્સ પણ ખડકી દેવાયું છે. હરિયાણાના મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા સાથે આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મળવાના છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, તેઓ ધરણાના સ્થળેથી જ તમામ કામગીરી ચાલુ રાખશે.  
 
ધારાસભ્ય સાથે મારા-મારી, મંત્રીની અટકાયતનો આરોપ
ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અખિલેશ ત્રિપાઠી સાથે પોલીસવાળાઓએ મારપીટ કરી હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ પોતાના માર્ગ અને પરિવહન મંત્રી સૌરભ ભારદ્વાજની પણ પોલીસે અટકાયત કરી હોવાનો આરોપ ખુદ કેજરીવાલે લગાવ્યો છે. રેલ ભવન પાસે એકઠા થયેલ પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. જોકે, પોલીસે ભારદ્વાજની અટકાયતના આરોપ નકારી કાઢતા જણાવ્યું છે કે સૌરભ ભારદ્વાજ પોતે આવીને પોલીસ વાનમાં બેસી ગયા હતા.
 
પૂરાવા આપે આર.કે.સિંહ-આપ- શિંદે 
કેન્દ્ર સરકારના પૂર્વ સચિવ આર.કે. સિંહે ગૃહપ્રધાન સુશિલકુમાર શિંદે પર ભ્રષ્ટાચાર અંગે આરોપ મુક્યા હતા. આ અંગે અઠવાડિયા જેવો સમય થયો હોવા છતાં, શિંદેએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. આ દરમિયાન કોંગ્રેસ અને સરકાર તેમનો બચાવ કરતા રહ્યા હતા. સોમવારે સવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિંદે પર આરોપ મુક્યો હતો. ત્યારે તત્કાળ તેમણે પ્રતિક્રિયા આપી હતી. 
 
શિંદેએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કે આર.કે. સિંહ પાસે કથિત ભ્રષ્ટાચારના જો કોઈ પૂરાવા હોય તો તેમણે આપવા જોઈએ. મારા દ્વારા મોકલવામાં આવેલી કથિત કાપલી કે પત્ર કે અન્ય કોઈ સ્વરૂપે પૂરાવો હોય તો આપવો જોઈએ. આ કોઈ એકલ-દોકલ પોલીસ સ્ટેશનન્સની વાત નથી. મોટાપાયા પરના પોલીસ તંત્રની વાત છે.

No comments:

Post a Comment